સુવિધાઓના નામે માત્ર મીંડું; ભાજપના ગઢ ગણાતા ચૌહાણ ફળીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુનીલભાઈ આશરને મળ્યો ઉમળકાભેર આવકાર, મતદારોએ કર્યો પરિવર્તનનો મક્કમ નિર્ધાર
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૯માં આગામી ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી (આપ) દ્વારા પ્રચંડ બ્યૂગલ ફૂંકવામાં આવ્યું છે. ચૂંટણી પ્રચાર અને પદયાત્રા દરમિયાન ‘આપ’ના ઉમેદવારોને વોર્ડની જમીની વાસ્તવિકતાનો અત્યંત કડવો અનુભવ થયો હતો, જ્યાં સ્થાનિક લોકોની પ્રાથમિક સુવિધાઓ જાણે કે ઉભરાતી ગટરોમાં વહી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
આઝાદીના આઠ દાયકાઓ વીતી ગયા હોવા છતાં અને સત્તાધારી ભાજપના શાસકો દ્વારા એક તરફ ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણીઓ થઈ રહી છે, ત્યારે બીજી તરફ વોર્ડ નંબર ૯ના રહીશો સુવિધાઓના નામે માત્ર મીંડાનો સામનો કરી રહ્યા છે. લોકોની યાતનાઓ અને ઉભરતી ગટરો જેવી દયનીય સ્થિતિ જોઈને સત્તાધીશોના વિકાસના તમામ દાવાઓ જમીનદોસ્ત થતા નજરે પડ્યા હતા, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે સ્થાનિક નાગરિકો આજે પણ પાયાની અને રોજબરોજની જરૂરિયાતો માટે વલખાં મારી રહ્યા છે.
આ વિકટ પરિસ્થિતિ વચ્ચે આમ આદમી પાર્ટીના બળવાન અને લોકપ્રિય ઉમેદવાર સુનીલભાઈ આશર તેમજ તેમની ટીમે વિસ્તારના લતા-લતામાં જઈને લોકોની વેદનાઓને વાચા આપી હતી. ઘેર-ઘેર ફરીને લોકોની પ્રાથમિક સમસ્યાઓ સાંભળ્યા બાદ, ‘આપ’ના ઉમેદવારોએ સ્થાનિકોને ખાતરી આપી હતી કે જો તેઓને જનસેવા કરવાની તક મળશે તો આ તમામ અસુવિધાઓને મૂળમાંથી દૂર કરી, જનતાને પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે તેઓ જીજાનથી મહેનત કરશે.
આઝાદી પછીના આટલા લાંબા સમય સુધી સતત ઉપેક્ષાનો શિકાર બનેલા મતદારોમાં હવે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વર્ષોથી માત્ર ઠાલા વચનો સાંભળીને થાકેલા નાગરિકોએ હવે આ ચૂંટણીમાં કોઈ પણ ભોગે નિશ્ચિત પરિવર્તન લાવવાનું અને આમ આદમી પાર્ટીને એક મજબૂત વિકલ્પ તરીકે સ્વીકારવાનું મન બનાવી લીધું છે.વોર્ડ નંબર ૯માં આમ આદમી પાર્ટીની સતત વધી રહેલી લોકપ્રિયતાનો સૌથી મોટો અને જીવંત પુરાવો એ વિસ્તારોમાં જોવા મળ્યો જે પરંપરાગત રીતે શાસક પક્ષના ગઢ માનવામાં આવે છે.
સત્તાધારી ભાજપનો અભેદ્ય કિલ્લો ગણાતા ‘ચૌહાણ ફળી’માં જ્યારે આપના ઉમેદવાર સુનીલભાઈ આશર અને તેમના અન્ય ઉમેદવારો ચૂંટણી પ્રચાર અર્થે પહોંચ્યા, ત્યારે સ્થાનિક લોકો દ્વારા તેઓને અદભૂત અને ઐતિહાસિક આવકાર આપવામાં આવ્યો હતો. વિસ્તારની ગલીએ-ગલી અને શેરીઓમાં ફરતી વખતે લોકોએ જાતે આગળ આવીને ઠેર-ઠેર ‘આપ’ના ઉમેદવારોનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ભાજપના ગઢમાં પડેલું આ ગાબડું અને સુનીલભાઈ આશરને મળી રહેલો જબ્બર જનપ્રતિસાદ એ વાતની ચાડી ખાય છે કે જામનગર શહેરના વોર્ડ નંબર ૯ની જનતા હવે પરિવર્તનની દિશામાં આગળ વધી રહી છે અને એક નવા રાજકીય અધ્યાયની શરૂઆત કરવા જઈ રહી છે.


