જામનગર તા ૧૮, જામનગર જિલ્લાના ધ્રોળમાં તેમજ જામજોધપુરમાં પણ ચાંદીપુરાના વાયરસના શંકાસ્પદ બે કેસ સામે આવ્યા છે.જે બન્ને બાળકો ચાંદીપુરા વાયરસ થી સંક્રમીત હોવાથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, અને આરોગ્ય ટીમ દ્વારા બંને ગ્રામ્ય પંથકમાં આરોગ્ય વિષયક પગલાં લેવા માટેની દોડધામ શરૂ કરાઈ છે.
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ સતત માથું ઊંચકી રહ્યો છે, અને સામાન્ય રીતે ૧૪ વર્ષની ઉંમર સુધીના બાળકો ચાંદીપુરા ના વાયરસ થી સંક્રમીત થઈ રહ્યા છે. જે મુજબ જામનગર જિલ્લા ના ધ્રોલ પંથકનો એક બાળક ચાંદીપુરાના વાયરસનો સંક્રમિત શંકાસ્પદ કેસ ગણવામાં આવ્યો છે, અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.
તે જ રીતે જામજોધપુર ગ્રામ્ય પંથકનો પણ એક બાળક ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ સંક્રમીત કેસ ગણીને તેને પણ સારવાર આપવામાં આવી રહી છે.
જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા બંને સ્થળોએ આરોગ્ય વિભાગની ટુકડીને દોડતી કરવામાં આવી છે, અને સંક્રમિત બાળક અને તેના પરિવાર સહિતના પરિવારજનોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી રહી છે.


