જામનગર મિરર, જામનગર સહિત સમગ્ર રાજ્યમાં કેન્સર જેવી ભયાનક બિમારીની સારવારના સંબંધમાં રેલ્વે દ્વારા હોસ્પિટલના પાસના આધારે તે દર્દીને પોતાના શહેર અને હોસ્પિટલના સ્થળ સુધીની રેલ્વે મુસાફરીની વ્યવસ્થા કરી આપવામાં આવે તેવો નિયમ છે પરંતુ જામનગરના હાપા રેલ્વ સ્ટેશન પર આ પ્રકારના કેન્સરના એક દર્દીને રેલવેબાબુઓની ઉદ્ધતાઈનો તાજેતરમાં ખૂબ જ કડવો અનુભવ થયો છે અને આ દર્દીએ આથી ભારે હાલાકી વેઠવી પડી હતી. આ મામલાની જાણવા મળેલી વિગતો એવી છે કે, જામનગરના નરેશ રાયઠઠ્ઠા નામના કેન્સરના એક યુવાન દર્દી હાલમાં અમદાવાદ ખાતે અસારવામાં આવેલી સરકારી કેન્સર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, તેઓને ડોકટરના કહેવા અનુસાર, નિયત સમયનાં અંતરે સારવાર સંબંધે અમદાવાદ જવાનું હોય છે, તેઓ પાસે આ માટેનો હોસ્પિટલનો રેલ્વે પ્રવાસ માટેનો અધિકૃત પાસ પણ છે, તેઓ અને તેમના પત્ની આ સારવાર માટે નિયત સમયે અમદાવાદ જાય છે. તાજેતરમાં, ગત્ તા. 09-02-2024ના દિવસે આ કામ માટે તેઓ હાપા રેલ્વે સ્ટેશન ઓખા-અમદાવાદ ટ્રેનની ટિકિટ લેવા ગયા ત્યારે પ્રથમ બુકિંગ ક્લાર્કે તથા બાદમાં સ્ટેશન માસ્ટરે પણ, ટ્રેન ઓખાથી નીકળી ગઈ છે, હવે ટિકિટ ન મળે એમ કહી આ દર્દીના પત્નીને પાસના નિયમ અનુસાર ટિકિટ ન આપતાં આ દંપતિ ભારે પરેશાન થયું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, અમદાવાદ રેલ્વે સ્ટેશન પર આ જ દર્દીને ટ્રેનના સમય અગાઉ એક કલાક પહેલાં ટિકિટ આપવામાં આવે છે, પરંતુ જામનગરના હાપા રેલ્વે સ્ટેશનના સ્ટાફે ઉદ્ધત વર્તન કરી કેન્સરના આ દર્દીને હાલાકી વેઠવા મજબૂર કરવાનું માનવતાની દ્રષ્ટિએ શરમજનક કૃત્ય કર્યું છે. કેન્સરના આ દર્દીએ આ તમામ વિગતો જામનગર મિરરને લેખિતમાં મોકલાવી છે.


