જામનગર તા ૨૭, જામનગર જિલ્લામાં છેલ્લા દિવસોમાં પડેલા અનરાધાર વરસાદના કારણે સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ નિર્માણ થઇ છે.લોકોના જાન માલનું રક્ષણ કરવા જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ, માર્ગ અને મકાન, ફાયર સહિતના વિભાગો ખડેપગે ફરજ બજાવી રહ્યા છે, ત્યારે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાગામ વાડી વિસ્તારમાં ભારે વરસાદના કારણે નાના બાળકો સહિત ૧૧ લોકો ફસાયા હોવાની જાણ થઈ હતી.
આથી પ્રાંત અધિકારી શ્રી લાલપુર સહિતની ટીમે સ્થિતિની ગંભીરતા સમજી સતર્કતા દાખવી આ તમામ લોકોને રેસ્ક્યુ કરવા એરફોર્સના હેલિકોપ્ટરથી વ્યવસ્થા કરી હતી. પાણીમાં ફસાયેલા તમામને હેલિકોપ્ટરની તાત્કાલિક મદદ મળતાં તેઓને સુરક્ષિત સ્થળે ખસેડવાનું શક્ય બન્યું હતું. અને જીવનું જોખમ ટળ્યું હતું.


