
જામનગર તા ૨૫, રાજકોટમાં ગેમ ઝોન માં સર્જાયેલી દુર્ઘટના ના પડઘા જામનગરમાં પણ પડ્યા છે, અને લાખોટા તળાવની પાળ તેમજ ખોડીયાર કોલોની વિસ્તારમાં ચાલી રહેલા બે ગેમઝોન ને તાત્કાલિક અસરથી મહાનગરપાલિકા ની એસ્ટેટ દ્વારા બંધ કરાવી દેવાયા છે. ઉપરાંત તેઓ દ્વારા ફાયર બ્રિગેડનું એનઓસી સહિતની મંજૂરી લેવામાં આવી છે કે કેમ, તેની પણ ખરાઈ કરવામાં આવી રહી છે.ઉપરાંત મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા, ફાયર શાખાની ટીમ તથા વીજતંત્રની ટુકડી દ્વારા આવતીકાલે જામનગર શહેરમાં ગેમ ઝોન બાબતે સર્વે કરાશે.જામનગર મહાનગર પાલિકાની ટીમ દ્વારા લાખોટા તળાવ નીપાળ આરટીઓ કચેરીના ભાગમાં ચાલી રહેલા ગેમઝોનને બંધ કરાવીને નાની બાળકોની સંખ્યાબંધ રાઈડ ચાલતી હતી, તે તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવામાં આવી છે. આ ઉપરાંત ખોડીયાર કોલોની વિસ્તારમાં ખાનગી પાર્ટી પ્લોટ માં ગેમઝોન ચાલી રહ્યો હતો, જેને પણ તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવ્યો છે. તેમજ મંજૂરી અંગે ની ચકાસણી થઈ રહી છે. જામનગર શહેરમાં એમયૂઝમેન્ટ પાર્ક માં ગેમ ઝોન ચાલી રહ્યો છે, જોકે હાલમાં જેમાં રાઇડ બંધ છે. ઉપરાંત લાલપુર બાયપાસ ચોકડી પાસે પણ એક ગેમ ઝોન ચાલી રહ્યો છે. અન્યથા શહેરના અલગ અલગ વિસ્તારમાં કોઈ પણ ખાનગી પાર્ટી પ્લોટ કે જાહેર સ્થળે ગેમ ઝોન ચાલી રહ્યા હોય તેવા સ્થળો પર ચકાસણી કરવાની પ્રક્રિયા હાથ વધારવામાં આવી રહી છે. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ ફાયર બ્રિગેડ શાખાની ટુકડી તથા પીજીવીસીએલનું તંત્ર વગેરેની ટીમ બનાવીને આવતીકાલે રવિવારે સમગ્ર શહેરી વિસ્તારમાં સર્વેની કાર્યવાહી હાથ કરવામાં આવશે. કોઈ પણ પ્રકારની મંજૂરી વિના ચાલતા ગેમજોન સહિતની પ્રવૃત્તિઓને તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવામાં આવશે, તેમ સૂત્રો દ્વારા જાણવા મળી રહયું છે.


