જામનગર તા ૨૦, જામનગર નજીક કનસુમરા ના પાટીયા પાસે આવેલા જીઆઇડીસી વિસ્તારમાં આજથી દોઢ માસ પહેલા એક બ્રાસના કારખાનામાં બ્લાસ્ટ થયો હતો, અને ત્રણ શ્રમિકો દાજી ગયા હતા. જે પૈકીના એક શ્રમિક યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે મધ્યપ્રદેશના વતની અને હાલ જામનગર નજીક દરેડ ગામમાં રહેતા નિલેશ કછેડીલાલ (૨૮), ઉપરાંત વિકાસ ક્રિષ્નાસિંહ યાદવ સહિતના ત્રણ શ્રમિકો આજથી દોઢ માસ પહેલાં તારીખ ૫.૯.૨૦૨૪ના દિવસે કનસુમરા પાટીયા નજીક આવેલા જીઆઇડીસી ના પ્લોટ નંબર ૧ માં શ્રી ભવાની એક્સ્ટ્રુજન નામના કારખાનામાં મજૂરી કામ કરી રહ્યા હતા, તે દરમિયાન એકાએક બ્રાસ ની ભઠ્ઠીT માં બ્લાસ્ટ થયો હતો, અને પિત્તળ નો રસ ઉડવાના કારણે ત્રણેય શ્રમિક દાજી ગયા હતા.
જે તમામને સૌપ્રથમ જામનગર અને ત્યારબાદ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જે પૈકીના નિલેશ કછેડીલાલ ની તબિયત લથડતાં તેને વધુ સારવાર માટે મધ્યપ્રદેશ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ અંગે પોલીસને જાણ કરતાં પંચકોઇષી બી. ડિવિઝન ના એ.એસ.આઇ.એમ.એલ. જાડેજાએ આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે.


