કાલાવડના મોટાભાડુકિયા, બાલંભડી,શનાળા, સણોસરા પંથકમાં કલાકમાં ૩ ઇંચ વરસાદથી શિયાળુ પાકો નષ્ટ, ખેડૂતો દ્વારા તાત્કાલિક સર્વેની માંગ | જામનગરમાં ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં વીજ ડૂલ | શનાળામાં ખેડૂતના મકાન પર વીજળી ત્રાટકતા છતમાં ગાબડું, સદનસીબે આબાદ બચાવ.
જામનગર શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં ઋતુચક્રના અણધાર્યા પલટાએ લોકોને બાનમાં લીધા છે. અચાનક જ વાતાવરણમાં આવેલા પલટા બાદ ભારે પવન અને કડાકા-ભડાકા સાથે સિઝનનું પ્રથમ મિની વાવાઝોડું ફૂંકાયું હતું. તોફાની પવન અને કમોસમી વરસાદના કારણે લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એક તરફ ગ્રામ્ય પંથકના ખેડૂતો પહેલાથી જ માવઠાનો માર સહન કરી રહ્યા છે, ત્યાં આ વાવાઝોડાએ શહેરી વિસ્તારોમાં પણ સામાન્ય જનજીવનને વેરવિખેર કરી નાખ્યું છે.જામનગર શહેરમાં ફૂંકાયેલા આ તોફાની પવને ભારે વિનાશ વેર્યો છે.

પવનની ગતિ એટલી તીવ્ર હતી કે શહેરના અનેક માર્ગો અને સોસાયટીઓમાં વર્ષો જૂના તોતિંગ વૃક્ષો મૂળમાંથી ઉખડીને ધરાશાયી થયા હતા. આ ઉપરાંત, અનેક નાગરિકોના મકાનોની છત પર લગાવવામાં આવેલી મોંઘીદાટ સોલાર પેનલો પવનમાં ઉડી જવાથી કે તૂટી જવાથી લોકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વૃક્ષો પડવાની અને ભારે પવનની ઘટનાઓને પગલે વીજ લાઈનોમાં ભંગાણ સર્જાતા શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, જેના કારણે કલાકો સુધી લોકોએ અંધારપટમાં રહેવાની ફરજ પડી હતી.

આ કુદરતી કહેરની સૌથી ભયાવહ ઘટના કાલાવડ તાલુકાના શનાળા ગામમાં સામે આવી છે. વાવાઝોડા અને વરસાદ વચ્ચે શનાળામાં એક ખેડૂત પરિવારના મકાન પર ભયંકર અવાજ સાથે આકાશી વીજળી ત્રાટકી હતી. વીજળી પડવાનો ધડાકો એટલો પ્રચંડ હતો કે મકાનની મજબૂત છતની વચ્ચોવચ મોટું ગાબડું (હોલ) પડી ગયું હતું અને મકાનને ભારે નુકસાન પહોંચ્યું હતું. જોકે, આ ગોઝારી ઘટનામાં ઈશ્વરનો મોટો પાડ રહ્યો કે જે સમયે વીજળી ત્રાટકી ત્યારે પરિવારના સભ્યોનો આબાદ બચાવ થયો હતો, જેથી સદનસીબે કોઈ મોટી જાનહાનિ ટળી હતી. આમ છતાં, જીવલેણ કુદરતી પ્રકોપની આ ઘટનાથી પરિવાર અને સમગ્ર ગામમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.



