રિપોર્ટર તુષાર વાદી : કાલાવડ તાલુકાના નિકાવા ગામે શ્રાવણ માસના આઠમા દિવસે કૃષ્ણજન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આજે શ્રાવણ માસના જન્માષ્ટમીના દિવસે સતત વર્ષી રહેલા વરસાદ વચ્ચે પણ ગામ લોકોએ અથાગ મહેનત કરીને આ તહેવારને યાદગાર બનાવ્યો હતો. નંદીગ્રામ ચોકથી શરૂ થયેલી શોભાયાત્રામાં ટ્રેક્ટર, બોલેરો જેવા વાહનોને સુંદર રીતે સજાવવામાં આવ્યા હતા. હિમાલય અને ગિરનાર જેવા પર્વતોની નકલો અને વિવિધ પ્રકારના ફુવારાઓએ આ શોભાયાત્રાને વધુ આકર્ષક બનાવી હતી.

શ્રી રામજી મંદિર અને વિઠ્ઠલજી કાલિદાસ ચોકમાં મટકી ફોડના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વરસાદ હોવા છતાં ખેલૈયાઓએ રાસ રમીને શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરી હતી. ભાઈઓ, બહેનો, યુવાનો અને બાળકોએ આ ઉત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સાંજે દૂધેશ્વર મહાદેવના મંદિરે નાનો મેળો યોજાયો હતો જ્યાં ગામ લોકોએ દર્શન કરી મેળાની મોજ માણી હતી.
નિકાવા ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કૃષ્ણજન્માષ્ટમીની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી. ગામના દરેક ખૂણે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી દેખાતી હતી. સાતમના દિવસે પણ વરસાદ વચ્ચે રાસ મંડળીએ પક્ષી ચરણ માટે ફાળો એકત્ર કર્યો હતો. આઠમના દિવસે સવારે આઠ વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણની રથયાત્રા કાઢવામાં આવી હતી. સતત વરસાદ હોવા છતાં પણ ખેલૈયાઓ અને ગામ લોકોમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. નિકાવા ગામ ગોકુળ જેવું દ્રશ્ય પ્રસ્તુત કરતું હતું.


